માનવ અધિકારો અને સમાજસેવામાં કાયદાની ભૂમિકા અંગે જનજાગૃતિ કાર્યક્રમ
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા સમાજમાં માનવ અધિકારો અંગે જાગૃતિ વધારવા તેમજ કાયદાકીય શિક્ષણને વ્યવહારિક જીવન સાથે જોડવાના હેતુથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભવનના એલ.એલ.એમ. સેમેસ્ટર–૩ના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના ભાગરૂપે આ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈને કાયદાકીય જ્ઞાનને સમાજોપયોગી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પ્રવૃત્તિઓની શ્રેણી અંતર્ગત તા. ૧૧/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૧:૦૦થી ૨:૦૦ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માસ્ટર ઑફ સોશિયલ વર્ક ભવન ખાતે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સમાજ કાર્ય ભવન ના અધ્યક્ષશ્રી ડો. રાજેશ એમ. દવે પણ રૂબરૂ હજાર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપેલ હતું.
કાર્યક્રમ દરમિયાન માનવ અધિકારો સાથે સંકળાયેલા વિવિધ મહત્વપૂર્ણ અને વર્તમાન સમયના વિષયો અંગે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. તેમાં “માનવતા જીતે ત્યારે જ કાયદો સફળ બને છે”, પર્યાવરણ સંરક્ષણ, મહિલાઓ અને વંચિત વર્ગોના અધિકારો તથા માનવ અધિકારો અને સમાજસેવામાં કાયદાની ભૂમિકા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રજૂઆતો દરમિયાન કાયદો માત્ર અદાલતો અને કાયદાકીય પ્રક્રિયા પૂરતો સીમિત ન રહેતા માનવજીવન, સમાજ અને સામાજિક ન્યાય સાથે કેવી રીતે જોડાયેલો છે તે સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલાઓ તથા વંચિત વર્ગોને મળતા કાયદાકીય રક્ષણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને માનવતાના મૂલ્યોને કાયદાના અમલીકરણ સાથે જોડીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માસ્ટર ઑફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સભ્યો સાથે થયેલા આ સંવાદ દ્વારા કાયદા અને સમાજસેવા વચ્ચેના પરસ્પર સંબંધને ઉજાગર કરવામાં આવ્યો હતો. કાયદાની જાણકારી જ્યારે સમાજની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડાય છે ત્યારે તે વ્યક્તિના અધિકારોના રક્ષણ અને સામાજિક પરિવર્તનનું અસરકારક માધ્યમ બની શકે છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ભવનના વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાની સાથે જાહેર જીવનમાં કાયદાની ઉપયોગિતા સમજવાનો વ્યવહારિક અનુભવ પણ મેળવી રહ્યા છે. સાથે સાથે, વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં પોતાના અધિકારો, ફરજો અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાનું કાર્ય પણ થઈ રહ્યું છે.
આ સમગ્ર જનજાગૃતિ અભિયાન માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભવનના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે.
માનવ અધિકારો અંગેની જાગૃતિને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા તથા કાયદાના વિદ્યાર્થીઓના જ્ઞાનને સમાજના હિતમાં ઉપયોગી બનાવવાના આ પ્રયાસો દ્વારા કાયદાકીય શિક્ષણ, માનવ અધિકાર જાગૃતિ અને સામાજિક સેવા વચ્ચેનું સેતુ વધુ મજબૂત બની રહ્યું છે.